Luke 1

1આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે, 2આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ સ્વીકાર્યું છે; 3માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું, 4કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.

5યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું. 6તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં. 7તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.

8તે છતાં ઝખાર્યા પોતાના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો, 9એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવાનો તેનો સમય આવ્યો. 10અર્પણ કરાતું હતું તે સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.

11તે સમય દરમિયાન ધૂપવેદીની જમણી બાજુમાં પ્રભુનો એક દૂત ઊભેલો તેના જોવામાં આવ્યો. 12દૂતને જોઇને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. 13દૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.

14તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણા લોકો હરખાશે; 15કેમ કે તે પ્રભુની સમક્ષતામાં મોટો થશે, દ્રાક્ષાસવ પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.

16તે ઇઝરાયલના ઘણા વંશજોને તેઓના ઈશ્વર યહોવા તરફ ફેરવશે. 17તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.

18ઝખાર્યાએ દૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’ 19દૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશો મને મોકલવામાં આવ્યો છે.’ 20એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

21લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા. 22તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઈશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ. 23તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.

24તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે, 25‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની [કૃપા]દ્દષ્ટિના સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’

26છઠ્ઠે મહિને ગાબ્રિયેલ દૂત ને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. 27દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઇ થઇ હતી; તેનું નામ મરિયમ હતું. 28દૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’ 29પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!

30દૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. 32તે મોટા થશે, અને પરાત્પર (ઈશ્વર)ના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’

34મરિયમે દૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સબંધમાં આવી નથી.’ 35દૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર (ઈશ્વર)નું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે [તારાથી] જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.

36જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃધ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37‘કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહિ.’ 38મરિયમે દૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ.’ ત્યારે દૂત તેની પાસેથી ગયો.

39તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ. 40ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. 41એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને

42તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તુ ધન્ય છે, તારા બાળકને પણ ધન્ય છે!’ 43એ [કૃપા] મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.

46મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47અને ઈશ્વર, મારા ઉધ્ધારનારમાં મારો આત્મા હરખાયો છે.

48કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે. 49કેમ કે પરાક્રમી (ઈશ્વર)એ મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.

50જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે. 51તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.

52તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે. 53તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢયા છે.

54આપણા પૂર્વજોને તેમના કહ્યા પ્રમાણે, ઈબ્રાહિમ પર તથા તેના વંશ પર 55સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’

56મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘેર પાછી ગઈ. 57હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જન્મ્યો. 58તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.

59આઠમે દિવસે તેઓ છોકરાની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા; 60પણ તેની માએ તેઓને કહ્યુ કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’ 61તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’

62તેઓએ ઈશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’ 63તેણે પથ્થરપાટી[સ્લેટ] માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’

64તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ [છુટી થઇ], તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. 65તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી. 66જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.

67તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઇને એવો પ્રબોધ કર્યો કે, 68ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.

69જગતના આરંભથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, 70તેમણે પોતાના સેવક દાઉદના કૂળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉધ્ધારનાર આપ્યા છે, 71એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;

72એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે, 73એટલે તેમણે આપણા પિતા ઈબ્રાહિમની સાથે જે સમ ખાધા તે; 74એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ 75શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.

76અને, ઓ પુત્ર, તું પરાત્પર (ઈશ્વર)નો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે, 77તથા તેમના લોકોને પાપની માફી મળવાથી જે ઉધ્ધાર મળે છે, તેનું જ્ઞાન તું તેઓને આપે.

78[અને આ માફી] આપણા ઈશ્વરની ઘણી દયાથી સ્વર્ગમાંથી ઉધ્ધારનાર ઊગતા સૂર્ય સમાન આપણી પાસે આવે છે, 79એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.

પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાના દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.

80

Copyright information for GujULB